Friday, August 31, 2018

જન્માષ્ઠમી Spl ભજન સ્પર્ધા...........


        આજે અમારી કૉલેજમાં વિવેકાનંદ કૉલેજ ફોર બી.એડ્ જહાંગીરપુરા, સુરત ખાતે ભગવાન શ્રી શ્રીકૃષ્ણ ના જન્મ દિવસના નિમિતે જન્માષ્ઠમીના શ્રીકૃષ્ણના જુદા-જુદા ભજનોની સ્પર્ધા કરવામાં આવી હતી. બી.એડ્ના સેમેસ્ટર ૧ અને સેમેસ્ટર ૩ ના તાલીમાર્થીઓએ સરસ મજાનાં ભજનો ગયા અને લાલાને પારણે ઝુલાવ્યા ત્યાર બાદ પ્રસાદનું આયોજન કર્યું. 
   
        જેમાં અમારી કૉલેજના શિક્ષકોએ સ્પર્ધાના નિર્ણયકો તરીકે ભૂમિકા ભજવી હતી. અલગ-અલગ અવાજોમાં સરસ ભજનો સાંભળવા મળ્યા. 



                                                                                                          તા: ૩૧/૦૮/૨૦૧૮ 
                                                                                                          ભાભોર સમેશ ટી.

Friday, August 24, 2018

શૈવ સંપ્રદાયના પ્રવાસના સ્થળો - પ્રભાસ-પાટણ - સોમનાથ (Somanath)


       હિન્દુ ધર્મનાં પ્રખ્યાત અને મુખ્ય દેવો બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવને માનવામાં આવે છે ભગવાન બ્રહ્માને સૃષ્ટિના સર્જનહાર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલનહાર માનવામાં આવે છે. જયારે ભગવાન ભોળાનાથ શિવને સૃષ્ટિના તારણહાર દેવ તરીકે તેનું પૂજન થાય છે. આ માટે દરેક જીવ ભગવાન શિવની  આરાધના કરતો હોય છે. આ માટે ભગવાન શિવની લિંગની પૂજા થાય છે. આ માટે કોઈ એવું ગામ કે શહેર નહિ હોય જ્યાં ભગવાન શિવનું  મંદિર નહિ હોય. શૈવધર્મનાં અનેક મંદિરો ગુજરાતમાં આવેલા છે. જેમાં સોમનાથ અને નાગેશ્વર દ્વાદશ જ્યોતિલિંગમાં તેનો સમાવેશ થાય છે. સોમનાથ મંદિરે શ્રાવણ માસનાં પવિત્ર સોમવારે વિવધ પુષ્પો, બિલ્વપત્ર. ત્રિશુલ, પુષ્પ-ચંદન, સર્પ-શણગાર અને પીતાંબરનો અનેરો શ્રુંગાર કરવામાં આવે છે.

    પ્રભાસ-પાટણ: સોમનાથ:-

     અહીંથી કાંઠેકાંઠેય જવું હોય તો પશ્ચિમ તરફ જઈએ સુવિખ્યાત ધાર્મિક તેમજ ઐતિહાસિક ક્ષેત્ર–પ્રભાસપાટણ.

->    દેશના અતિપવિત્ર બાર જ્યોતિલિઁગોમાંના એક એવા સોમનાથ મહાદેવનું પ્રત્યેક હિન્દુનાં હ્યદયમાં વિશિષ્ટ સ્થાન છે. પ્રભાસપાટણ સોમનાથ–પાટણ તરીકે જાણીતું છે. ‘મહાભારતમાં બે સ્થાનોનો ઉલ્લેખ જોવા મળે છે: દ્વ્રારકા અને પ્રભાસને ત્યાં પણ પ્રભાસને તીર્થક્ષેત્ર તરીકે વર્ણવ્યું છે. પાછળથી રચાયેલા ‘શાકુંતલ’ નાટકમાં પણ કવિ કાલિદાસે કણ્વઋષિને, શકુંતલાના ભાગ્યમાં રહેલા દુરિતને દૂર કરવા પ્રભાસ મોકલ્યા છે. અને ચંદ્રતીર્થ પણ કહેવાય છે, કારણ કે પુરાણો પ્રમાણે આ સ્થાનનું મહાત્મ્ય ચંદ્રે અહીં તપશ્ચર્યા કરીને શાપમોચન પ્રાપ્ત કર્યું ત્યારથી.

->  સોમનાથનું મંદિર તો ભારતની સાંસ્કૃતિક ચેતનના ખંડન અને તેની પુનઃજાગૃતિના સનાતન ઈતિહાસનું પ્રતીક છે. ક.મા.મુનશી તેમના ‘સોમનાથનાં મંદિર વિશેના પુસ્તકમાં જણાવે છે તેમ, આ મંદિર સાત વાર બંધાયું છે. પ્રથમ ચંદ્રે રજતનું. ત્યારબાદ રાવણે તેનું પુનઃનિર્માણ ચાંદીમાં અને  શ્રીકૃષ્ણે સુખડનુંને પછીના ઈતિહાસકાળમાં તે લાકડાનુંને પછી પથ્થરનું બંધાવ્યું જે તૂટતું–બંધાતું ગયું. આમાં મહંમદ ગઝનીએ કરેલા વિનાશની અને પછી અલાઉદ્દીન ખિલજીએ કરેલા સોમનાથધ્વંની કથાઓ જાણીતી છે.
->  ભીમદેવ સોલંકીએ બંધાવેલું મંદિર બાદમાં કુમારપાળે પણ બંધાવેલું અને તેના અનેક અવશેષો મળે છે. આ અવશેષો એકઠા કરી અત્યારે મુખ્ય મંદિર નજીકના એક જૂના સૂર્યમંદિરમાં મ્યુઝિયમ તરીકે મૂકવામાં આવ્યા છે.

->   જૂનાં વર્ણનો પ્રમાણે આ મંદિર વિરાટ પ્રાસાદ હતું. તેમાં સોનાની સાંકળે અસંખ્ય ઘંટ લટકતા, રત્નજડિત દીવીઓમાં સુગંધી દ્રવ્યોના દીવ બળતા–તેમાં સોને–રૂપે–રત્ને મઢાયાં સ્તંભો અને દ્વ્ર્રાર હતાં. પૌરાણિક સમયમાં આ મંદિર એટલું સમુદ્ધ હતું કે અહીં  ૩૦૦ સંગીતકારો અને ૫૦૦ નૃત્યાંગનાઓ વસતા અને યાત્રાળુઓની હજામત કરવા ૩૦૦ હજામો રહેતા. પ્રભાસ ખંડના પ્રકરણ સ્કંદ પુરાણમાં સોમનાથનું વર્ણન છે. માન્યતા અનુસાર, સોમનાથ ખાતે ભગવાન શિવ મૃત્યુંજ્ય, કાલગ્નિરુદ્ર, અમૃતેસ, અનામય, કૃતવસા અને ભૈરવનાથ તરીકે ઓળખાતા. આજે પુરાણા મંદિરનું માત્ર સ્થાન જોવા મળે છે. તેના પાયામાં એક પછી એક બંધાતાં ગયેલા મંદિરોના પુરાવા છે. ૧૯૫૧માં તેના બાંધકામના શેષભાગને ઉતારીને સંગ્રહાલયમાં રક્ષવામાં આવેલ છે. આ સોમનાથ એ ભારતમાં શૈવ સંપ્રદાયનાં અત્યંત પવિત્ર એવાં બાર જ્યોતિલિઁગોમાનું એક હોવાથી–ને તે પણ પ્રથમ ગણાતું હોવાથી શૈવ સંપ્રદાય માટે તેનું ધાર્મિક મહત્વ ઘણું જ છે.

->   છેક દરિયાકાંઠે આવેલા આ મંદિરનું સ્થાન ખૂબ જ રમણીય છે. સોમનાથનો ધ્વંસ કરવા બેગડો ચઢી આવ્યો ત્યારે સોમનાથની સખાતે આવેલા સૌરાષ્ટ્રના રાજવી વીરોના અગ્રણી હમીરજી ગોહિલે સોમનાથનું રક્ષણ કરતાં કરતાં સોમનાથના પ્રાંગણમાં જ વીરમૃત્યુ વહોર્યું હતું. તેમની ખાંભી તરીકે તેમનું નાનકડું દેવળ સોમનાથના પ્રાંગણમાં છે. કવિ ક્લાપીએ ‘હમીરજી ગોહિલ એ કાવ્યમાં હમીરજીની વીરગાથા સરસ રીતે ગાઈ છે. મંદિરના પ્રાંગણની સમુદ્ર તરફની પાળે બેસીને નીચે ઘૂઘવા તો સમુદ્ર તો જોવો ગમે જ, પણ તે સાથે એ પાળ પર એક દીપસ્તંભ બનાવ્યો છે તે પણ જોવા જેવો છે. આ પથ્થરના સ્તંભ પર દીવો કરવામાં આવે છે. સ્તંભની ટોચે આડા મૂકેલા શંખની આકૃતિ છે. શંખનું મુખ મંદિર તરફ અને અણી સમુદ્ર તરફ છે. તે શંખ એવી રીતે ગોઠવાયો છે કે તે અણીથી સીધી લીટી દોરીએ તો તે દક્ષિણ ધ્રુવ સમુદ્ર પર જ જાય–વચમાં ક્યાંય ભૂમિ ન આવે. સોમનાથના સ્થાનનું આ મહત્વ છે. મંદિરના ચોગાનની બહાર ગામ છે. ગામમાં બીજાં મંદિરો પણ છે. તેમાં જૂના સોમનાથનું મંદિર નોંધપાત્ર છે. સ્થાનિક લોકો કહે કહે છે કે જ્યારે અલાઉદ્દીન ખિલજી સોમનાથનો ધ્વંસ કરવા આવ્યો ત્યારે મૂળ શિવલિંગ માનીને તેનાં દર્શન કરેલાં. શ્રી ક.મા.મુનશીએ પોતાની નવલકથા ‘ભગ્ન પદુકામાંમાં શિવલિંગ ઉપાડવાનો પ્રયત્ન કરતા પૂજારીનો અછડતો ઉલ્લે કર્યો છે. ગામમાં ઉતારા માટે મોટી ધર્મશાળા છે. ગામના કોટની બહાર ઈતિહાસકાળનાં યુદ્ધોના અવશેષરૂપ કબ્રસ્તાન તથા યાદવાસ્થળીની જગ્યા સ્થાનિક લોકો પ્રવાસીઓને બતાવે છે. ગામમાં પુરાણા ઐતિહાસિક અવશેષો, મંદિરો, શિલાલેખ વગેરે તેમ જ કુમારપાળે બંધાવેલું જૈન મંદિર. જોવાલાયક છે.
 
->   ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતના આ પુરાણપ્રસિદ્ધ મહાતીર્થની ભવ્યતા તેમ જ તેના ઈતિહાસે અનેક કથાકારોને પ્રેર્યા છે. ગુજરાતીમાં ઠક્કર નારાયણ વસનજી, ઉપરાંત ક.મા.મુનશી, ધૂમકેતુ, ચૂનીલાલ મડિયા અને રઘુવીર ચૌધરી તથા હિન્દીમાં આચાર્ય ચતુરસેન શાસ્ત્રીએ ગઝનીના આક્રમણના પ્રસંગને અનુલક્ષીને લખેલી સુંદર નવલકથાઓ વાંચવા જેવી છે. અલાઉદ્દીનના આક્રમણ પ્રસંગને મધ્યકાલીન કથાકાવ્ય ‘કાન્હડદે પ્રબંધમાં નિરૂપવામાં આવ્યો છે.

->   સોમનાથ પાટણ કે પ્રભાસપાટણના લિંગની ઉત્પત્તિ પૃથ્વીની ઉત્પત્તિ સાથે થઈ છે તેમ માનવામાં આવે છે. ઉપર જોયું તેમ આ મંદિર તોડી પાડવા માટેના જેટલા પ્રયત્નો થયા છે તે દરેક વાર તેનો જિર્ણોદ્ધાર કરી પુર્નરચના કરાયેલ છે એ સોમનાથનો મહિમા છે. વર્તમાન મંદિર આઝાદી પછી કહેવાય છે કે સરદાર પટેલની રાહબરી હેઠળ બંધાયેલ છે. હાલ મંદિરનું અગિયારમી વખત પુનઃનિર્માણ થયેલ છે એવી પ્રચલિત માન્યતા છે. ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનું “કૈલાસ મહામેરુ પ્રસાદ મંદિર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદ્દ્ભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધ્રુવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.

->   સોમનાથથી સાગરતટે ચાલતાં હિરણ નદીને સમુદ્રનો સંગમ આવે છે જે પવિત્ર ત્રિવેણીતીર્થ ગણાય છે. આ પણ પુરાણું શક્તિપીઠ તથા શ્રી શંકરાચાર્યનો મઠ પણ છે ને તેનાથી આગળ ચાલતાં દેહોત્સર્ગતીર્થ આવે છે. પ્રત્યેક ભારતીય માટે આ મહત્વનું સ્થાન ગણાય, કારણ કે આ એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણે દેહત્યાગ કરેલોને તેમના દેહને અગ્નિસમર્પિત કરવામાં આવેલો. શ્રીકૃષ્ણના જીવન સાથે સંકળાયેલાં ગોકુળ–વૃંદાવન–મથુરા-દ્વ્રારકા–કુરુક્ષેત્રનું જે મહત્વ છે તેટલું જ આ સ્થાનનું પણ ગણાય. અહીં કાંઠા પર સરસ મંદિરો છે અને શ્રી મુનશી વગેરેના પ્રયાસોથી સોમનાથથી અંહી સુધી સુંદર માર્ગ બનાવીને તેમ જ અહીં સ્મારક વગેરે રચીને આ સ્થળના વાતાવરણને અનુરૂપ ઉઠાવ આપવામાં આવ્યો છે. આ શાંત રમણીય સ્થળ હ્યદયમાં અપૂર્વ સંવેદનો જન્માવે છે....      


  


Wednesday, August 22, 2018

મેંદી તે વાવી માળવે - 'રઢિયાળી રાત'

                                    !! માનેતીની આંખ !!


અંબાજી મંદિર "શક્તિપીઠ" (Ambaaji Temple)


યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ  સંસ્થિતા 

       નમસ્તસ્યૈ  નમસ્તસ્યૈ  નમસ્તસ્યૈ નમો નમઃ’

 ->   મનુષ્ય યાત્રાઓ કરવા માટે એટલે જાય છે કે જેથી જે પરમ તત્વ અને ઈશ્વર સાથે તેનો થોડો ઘણો મેળાપ થાય. એ પરમ તત્વ અત્ર, તત્ર અને સર્વત્ર જોવા મળે છે. પરંતુ તેને ઓળખવા માટે આપણી પાસે એવા દિવ્ય ચક્ષુઓ નથી. એ આપણને આપણા આ પ્રજ્ઞાચક્ષુથી તેને ઓળખતા નથી એને માટે તો અંતરચક્ષુ ખોલવા જોઈએ. આ ચક્ષુ ખોલવા માટે જ શ્રદ્ધા ખોલવા માટે જ મનુષ્યમાત્ર યાત્રા કરવા માટે જાય છે. ગુજરાતમાં દરેક કુટુંબમાં કોઈને કોઈ દેવી કુળદેવી રૂપે પૂજાય છે. આપણા દેશમાં જેટલા ભગવાનો છે એટલે કે દેવો છે, લગભગ તેટલા પ્રમાણમાં દેવીઓ જોવા મળે છે. એમ વિષ્ણુ અને શિવની જેમ જ માતાની ભક્તિ પણ એટલી જ શ્રદ્ધા અને પ્રેમભાવપૂર્વક કરવામાં આવે છે. ભારતમાં ખાસ કરીને બંગાળમાં દેવી ભક્તિ વિશેષ પ્રમાણમાં વધુ જોવામાં આવે છે. તેવી જ રીતે  મોટા પ્રમાણમાં તમને દેવી ભક્તો જોવા મળશે. શક્તિ દર્શન શૈવ દર્શન સાથે ગાઢ રીતે  સંકળાયેલું છે. ભગવાન શંકરાચાર્યના પરમ ગુરુ તંત્રવાદી સગુણ બ્રહ્યવાદની વ્યહારિક ભૂમિકા શક્તિવાદના તેઓ હિમાયતી હતાં. એવું તેમના ‘સૌંદર્ય લહરી નામના કાવ્ય ગ્રંથમાં આપણને જોવા મળે છે.

      અંબાજી:-
 
 નર્મદે ગુજરાતની ઉત્તર સરહદ દર્શાવતાં ગાયેલું:

       ‘ઉત્તરમાં અંબા માત...’


->    ગુજરાતની ઉત્તર સરહદે, અરવલ્લીની હારમાળાના સર્વોત્તુગ શિખર અર્બુદગિરિ–આબુની બાજુનો ડુંગર આરાસુર એ ડુંગર પર માતાજીનું મહિમાવંત સ્થાનક અંબાજી. ગુજરાતનાં અને ભારતનાં પણ પ્રસિદ્ધ માતૃતીર્થોમાંનું મહત્વનું આ શક્તિપીઠ છે.

   આરાસુરી અંબાજી એટલે ગુજરાતની બધી જ કોમના માતાભક્તોનું પરમ શ્રદ્ધા – કેન્દ્ર. જેમ પૂર્વમાં પાવાગઢનાં મહાકાળી તેમ ઉત્તરમાં આરાસુરનાં અંબાજી. બ્રાહ્યણ, વણિક, પટેલ જેવી અનેક કોમો ઉપરાંત જૈનો પણ અંબાજીને ભજે, બાધાઓ રાખે, યાત્રાએ આવે, એટલે અંબાજીમાં અનેક ધર્મશાળાઓ છતાં હંમેશાં ભીડ રહે.

->  વર્ષો પહેલાં જેણે અંબાજી જોયું હોય તે તો આજનું અંબાજી જોઈ આશ્ચર્યમુગ્ધ બને. મંદિરનું મૂળ સ્થાનક યથાતથ રાખીને આસપાસની વિશાળ જગ્યાને તો આરસે મઢાઈ ગઈ છે. મુખ્ય રસ્તા પરથી મંદિરમાં જવાનો સીધો માર્ગ છે. આગળ છે માતાનાં ભાવ-દર્શન થઈ શકે છે.
                                   
-> પાલનપુરથી લગભગ પચાસ કિલોમીટરે ડુંગરાઓમાં આવેલ અંબાજી એટલે મંદિરની આસપાસ વસેલું ગામ. મંદિરને કારણે આવતાં યાત્રાળુઓની સવલતો અને માતાનાં પૂજાપ્રસાદ તથા નાનીમોટી ચીજોનું ત્યાં બજાર. ઉપરાંત આસપાસનાં જંગલોની પેદાશ–લાખ, ખેર, મધ, મીણ, ગૂગળ વગેરેનું અને લાકડાનું પણ ત્યાં બજાર. વળી, ‘આરાસુર નામને અનુરૂપ આરસની તે ઘણી ખાણો અને તેના પથ્થરનો મોટો ઉદ્યોગ. તાંબુ પણ નજીકમાંથી નીકળે છે એટલે એ સ્થળની આસપાસના વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે. અલબત્ત જંગલો કપાતાં જાય છે ને ડુંગરો ઉઘાડા થતા જાય છે.
 
->  અંબાજીની નજીકની ટેકરી ગબ્બર પણ માતાજીનું સ્થાનક, એટલે યાત્રાળુઓ એનું કપરું ચઢાણ પણ ચઢે. હવે તો યાત્રિકોની સુવિધા માટે રોપ-વેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

->  અંબાજીમાં મુખ્ય કેન્દ્ર તો અંબાજીનું મંદિર જ. પુરાણા મંદિરમાં માતાજીનું સ્થાનક. એના પર માના શણગાર થાયને ચૂંદડીઓ ચઢે. બાજુમાં માનસરોવરના કુંડમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરે–બાધા છોડે. મંદિરની આગળના ભાગમાં ચાચર ચોક–ત્યાં ગરબા ગવાય, ભવાઈ રમાય. નવરાત્રિમાં તસુ જગા ન મળે એવી ભારે ભીડ જામે. હવામાં ‘જય અંબેનો નાદ ઘેરાય. વાતાવરણ કંકુવરણું થઈ જાય એવો અહીં મેળો ભરાય. અહીં હવે યાત્રીઓ માટે નવીનવી સવલતોવાળી ઘણી રહેઠાણની વ્યવસ્થાઓ થઈ છે. મંદિરના ટ્રસ્ટ તરફથી યાત્રાળુઓની સવલત માટે ભોજનશાળાઓ પણ ચાલે છે.

->  મંદિર પુરાણું. અંદરના ગર્ભગૃહમાં માતાનો ગોખ. તેમાં સ્થનાક–મૂર્તિ નહીં. તે પછી મોટા થાંભલાવાળો સભાખંડ. સભાખંડમાં દર્શન કરીએ તો મૂર્તિ નહીં, છતાં વસ્ત્રો–અલંકારોની ગોઠવણીને કારણે સ્વરૂપદર્શન કર્યાનો ભાસ થાય. અંદર મંડપના દ્વારમાં સંવત ૧૬૦૧નો લેખ પણ છે.

->  અત્યારે આ મંદિરનો જીણોધ્દ્વાર થઈ ગયો છે. પુરાણા સ્થાનને અને ગોખને જાળવીને, બાકીનું મંદિર નવેસરથી બંધાઈ ગયું છે ને અતિભવ્ય દેવાલયનું નિર્માણ થઈ ગયું છે. ડુંગરાઓ વચ્ચે આવેલા આ ભવ્ય દેવાલયનો પ્રભાવ ખૂબ આકર્ષક બન્યો છે. લોકશ્રદ્ધા જાણે ભવ્ય આકારમાં મૂર્તિમંત થઈ છે. ડાકોરના રણછોડરાયજી મંદિર, શામળાજીના ગદાધર–મંદિરને સોમનાથના શિવાલયની જેમ એક ભવ્ય દેવાલયનું ગુજરાતની ધરતી પર નિર્માણ થયું છે. અત્યારે તો આપણે સૌ સાથે ‘જય અંબે’નો નાદ ગજાવીએ.

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

  એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401   ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...