લેબલ ઐતિહાસિક સ્થળો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ઐતિહાસિક સ્થળો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 3 સપ્ટેમ્બર, 2018

શામળાજી - (Shamalaaji)




        દ્વ્રારકા – ડાકોર - શામળાજી એ ત્રણ વિષ્ણુમંદિરોવાળાં ગુજરાતમાં ઉત્તમ તીર્થો જ નહીં પણ ઉત્તમ દેવાલયો પણ ખરાં. ત્રણે ખૂબ વિશાળ મંદિરો. પોતપોતાની વિશિષ્ટ સ્થાપત્યશૈલી માટે નમૂનેદાર. તેમાંય શામળાજીનું મંદિર તો શિલ્પસૌંદર્યની ર્દષ્ટિએ અસાધારણ અવલોકનીય છે. દ્વ્રારકાને સમુદ્રતટનું સાંનિધ્ય મળ્યું છે તો શામળાજીને ડુંગરાનું, અરણ્યનું અને બાજુમાં વહેતી મેશ્વોનો સૌંદર્ય સાંપડ્યું છે. વળી મંદિરની પાછળ ડુંગરાઓમાં કુદરતી સાંનિધ્ય વચ્ચે વિકસ્યું છે શ્યામસરોવર, મેશ્વો બંધ દ્વ્રારા નિર્મિત આ જલાગાર આ સ્થાનનાં સૌંદર્ય અને આકર્ષણોમાં ઓર વધારો કરે છે.

 ->    ગુજરાતના શિલ્પસ્થાપત્યની ર્દષ્ટિએ આ વૈષ્ણવવોના તીર્થનું રાજ્યનાં મહત્વનાં સ્થાનોમાં આગવું સ્થાન છે. કાર્તિકી પૂર્ણિમાએ અહીં ભરાતો આદિવાસીઓનો મેળો ગુજરાતભરમાંથી અને ગુજરાત બહારથી પણ તસવીરકારોને આકર્ષે છે.
                                       
->  શામળાજી અત્યંત રળિયામણું સ્થળ છે અને તેના મંદિરની અતિસુંદર શિલ્પસ્થાપત્યયુક્ત રચનાઓમાં ગદાધરની મનોહર મૂર્તિ ખૂબ જ આકર્ષક છે. ગુજરાતના સીમાડે લગભગ મેવાડની ધાર પર આવેલા આ સ્થાનને તેની પ્રાચીન ઐતિહાસિકતાનો વારસો છે. મોટા માપની આમતેમ પડેલી ઈંટો અને ટીંબા, ઠેર ઠેર જૂનાં નાનાં-મોટાં દેવાલયનો અવશેષો તથા હરિશ્ચંદ્રની ચોરી, ત્રિલોકીનાથ, રણછોડરાયજી અને કાશીવિશ્વનાથનાં મંદિરો ઉપરાંત કર્માબાઈનું તળાવ અહીંના જૂના-નવા ઈતિહાસને સાચવી રહ્યાં છે. તેમાં કદાચ સૌથી વધુ નોંધપાત્ર છે  એક નાનકડા દેરામાં મૂકાયેલી-સ્થાનિક ગ્રામજનો દ્વ્રારા ‘કળશી છોકરાંની માને નામ ઓળખાતી મહાવિષ્ણુની મૂર્તિ . એના મુગટરૂપ પરિક્રમાં ચોવીસ અવતારો કોતરાયા છે.

->  હવે શ્યામસરોવરમાં ડૂબી ગયેલી જગામાંથી મળી આવેલી ઈંટેરી સ્તૂપ અને બે વિહારો ક્ષત્રપકાલીન મનાય છે. તદુપરાંત પણ મળતાં નાના-મોટા સ્તૂપ-વિહારોના અવશેષો આ સ્થાનને બૌદ્ધયુગનું મહત્વનું કેન્દ્ર સૂચવે છે.


“ઊંચા નીચા ડુંગરા, વચમાં ધોરી ધાર

ધારે બેઠો મારો શામળિયો, મારો તીરથ-તારણહાર.” 

->  અર્વાચીનકાળમાં અહીં ઉમેરાયાં છે આદિવાસીઓની કેળવણી માટેની સુંદર આશ્રમશાળા અને મેશ્વો પરનો બંધ. પણ અહીંનું મૂળ સ્થાન તો છે ભગવાન ગદાધરનું મંદિર જે મોટા હાથીઓવાળા દરવાજામાં દાખલ થતાં જ સામે વિશાળ ચોક વચ્ચે આવેલા સપ્તતલ દેવાલયરૂપે દેખાય છે. મંદિરની પ્રાચીનતા વિશે મતભેદો પ્રવર્તે છે, પણ તે બહુધા ૪૦૦ થી ૫૦૦ પહેલાનાં અરસામાં બંધાયું હોવાનો અભિપ્રાય છે.  


->   ગુજરાતમાં પંદરમી સદી પછી બંધાયેલા મંદિરોમાં કદાચ આ સર્વોત્તમ છે. હાલમાં મંદિરનો જીોર્ણધ્દ્વ્રાર કરવામાં પણ મંદિરના પ્રાચીન સ્વરૂપ અને સૌંદર્ય જાળવવાની કાળજી લેવાઈ છે. ખંડિત શિલ્પોને સ્થાને નવાં ઉમેરવામાં આવ્યાં છે, પણ તે મૂળને અનુરૂપ જ હોય તેનો ખ્યાલ રખાયો છે. મંદિરના બાંધકામમાં પ્રાચીન ચૌલુક્ય-શૈલી જળવાયેલી છે. આ ઉત્તરાભિમુખ મંદિરની જગતીનો ભાગ વિશાળ છે. ગજથર અને ઉપર તોરણવાળાં મુખ્ય પ્રવેશદ્વ્રાર સામે જ મંદિરનાં મુખ્ય પગથિયાં-પ્રવેશદ્વ્રાર-સભાખંડ સામે જ ગર્ભદ્વ્રાર અને સામે છે. સભામંડપ, અંતરાલ અને ગર્ભદ્વ્રાર એવા ત્રણ ભાગમાં મંદિર વહેંચાયેલું છે.    

                                     

->   અંદરની દીવાલો ઓછાં શિલ્પવાળી છે. થાંભલા ક્યાંક ઓછા શણગારવાળા પણ મુખ્યત્વે અંદરનો ભાગ અલ્પ ભૂમિતળથી ઉપર સુધીના વિવિધ કંદોરા અને સ્તરો અત્યંત શિલ્પરચિત અને કલામય છે.
->  અંદરના સ્તંભો નીચેની ઉપર ચોરસ, અષ્ટકોણ અને ગોળાકાર એમ ત્રણ ભાગમાં વહેંચાયેલા છે ને ઉપર ફૂલવેલ જેવી આકૃતિઓ મળે છે. પણ બહારની ચોમેરની દીવાલો તો દેવદેવીઓની મૂર્તિઓ, માનવની-અનેક પ્રાણીઓ તથા ભૌમિતિક ફૂલવેલની આકૃતિઓથી ખચિત છે. આમાં ખાસ નોંધપાત્ર છે શિલ્પશ્રેણીઓમાં રજૂ થયેલ ‘મહાભારત, ‘રામાયણ અને ‘ભાગવાત’ના પ્રસંગો તેમ જ પુરાણવર્ણિત લીલાઓ. ચોપાસ દિશાઓના ગોખમાં શાસ્ત્રોક્ત પરંપરા જાળવીને ઈન્દ્ર અગ્નિ, વરુણ, શિવ,ગણેશ, વાયુ તેમ જ સરસ્વતી, ચંદ્રિકા, ઈન્દ્રાણી વગેરેની પ્રતિમાઓ છે. કુબેરનું શિલ્પ નોધપાત્ર છે. ઉપર જતાં નાના થતા જતાને છેલ્લે તો છેક જ નાના-પ્રવેશ ન થઈ શકે તેવા માળ પર માળથી રચાયેલા આ સપ્તપ્રાસાદ સમા દેવાલયનું શિખર વિશાળ છે. તેને ત્રણ ઉરુશૃંગો છે. શિખરના અગ્નિ ખૂણે ધ્વજ મૂકવામાં આવ્યો છે. 


->  મંદિરમાં તાંબાના પતરા પર કોતરેલા બે લેખો મળ્યા છે. તે પરથી ૧૭૬૨માં થયેલ જીર્ણોધ્દ્વારથી નોંધની જાણ થાય છે. ઉપરાંત તે લેખો પરથી એવું જણાય છે કે મૂળે આ મંદિર હલધર બલરામજીનું હતું. તેમાં ત્રિવિક્રમ સ્વરૂપની કૃષ્ણ-શામળાજીની મૂર્તિ કદાચ પાછળથી પધરાવી હશે. પણ આજની દેવ ગદાધરની મૂર્તિ ડાકોરના રણછોડજીના સ્વરૂપની શોભાની યાદ આપે તેવી મનોહારી છે. કાળા આરસમાંથી બનાવેલી આ ચતુર્ભુજ વિષ્ણુપ્રતિમા લગભગ ૧૩૦ સે.મી. જેટલી ઊંચી છે. તેની સામે જ કાળા પથ્થરની અંજલિમુદ્રાયુક્ત માનવકૃતિ  ગરુડની કાળા આરસની અત્યંત સુંદર મૂર્તિ છે.

->   હિંમતનગરથી ઉદેપુર રેલવેલાઈનના લગભગ ૮ કિ.મી. દૂરના સ્ટેશન શામળાજી રોડની સુવિધાવાળું આ સ્થાન ગુજરાતનાં પવિત્ર તેમ જ ઐતિહાસિક ઉપરાંત અત્યંત રમણીય સ્થાનોમાંનુંને વળી અસાધારણ શિલ્પસૌંદર્યમંડિત મંદિરવાળું અનેક પ્રવાસીઓનું આકર્ષણકેન્દ્ર બની ગયું છે. કાર્તિકમાસમાં અહીં ભરાતો આદિવાસીઓનો મેળો ગુજરાતના સૌથી મોટાને જાણીતા મેળામાંનો એક છે. તે વખતે ‘શામળાજીને મેળે રણઝણિયું વાગે ગાતાને નાચતા આદિવાસીઓના ઉમંગમાં સામેલ થવા જેવું છે. મેળામાં માનવહ્યદયમાં ભક્તિના પડઘા પડે છે. અસંખ્ય યાત્રાળુઓના કંઠમાંથી ‘શામળિયા લાલકી જયના નાદ સંભળાય છે. યાત્રાધામ શામળાજી ખરેખર જોવા અને મહાલવા જેવું તીર્થસ્થળ છે. સાબરકાંઠાના છેવાડાના ભાગે આવેલ મનોહર પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું આ તીર્થસ્થાન શામળાજી ગુજરાતનું ગૌરવ છે.          

શુક્રવાર, 24 ઑગસ્ટ, 2018

શૈવ સંપ્રદાયના પ્રવાસના સ્થળો - પ્રભાસ-પાટણ - સોમનાથ (Somanath)


       હિન્દુ ધર્મનાં પ્રખ્યાત અને મુખ્ય દેવો બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવને માનવામાં આવે છે ભગવાન બ્રહ્માને સૃષ્ટિના સર્જનહાર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલનહાર માનવામાં આવે છે. જયારે ભગવાન ભોળાનાથ શિવને સૃષ્ટિના તારણહાર દેવ તરીકે તેનું પૂજન થાય છે. આ માટે દરેક જીવ ભગવાન શિવની  આરાધના કરતો હોય છે. આ માટે ભગવાન શિવની લિંગની પૂજા થાય છે. આ માટે કોઈ એવું ગામ કે શહેર નહિ હોય જ્યાં ભગવાન શિવનું  મંદિર નહિ હોય. શૈવધર્મનાં અનેક મંદિરો ગુજરાતમાં આવેલા છે. જેમાં સોમનાથ અને નાગેશ્વર દ્વાદશ જ્યોતિલિંગમાં તેનો સમાવેશ થાય છે. સોમનાથ મંદિરે શ્રાવણ માસનાં પવિત્ર સોમવારે વિવધ પુષ્પો, બિલ્વપત્ર. ત્રિશુલ, પુષ્પ-ચંદન, સર્પ-શણગાર અને પીતાંબરનો અનેરો શ્રુંગાર કરવામાં આવે છે.

    પ્રભાસ-પાટણ: સોમનાથ:-

     અહીંથી કાંઠેકાંઠેય જવું હોય તો પશ્ચિમ તરફ જઈએ સુવિખ્યાત ધાર્મિક તેમજ ઐતિહાસિક ક્ષેત્ર–પ્રભાસપાટણ.

->    દેશના અતિપવિત્ર બાર જ્યોતિલિઁગોમાંના એક એવા સોમનાથ મહાદેવનું પ્રત્યેક હિન્દુનાં હ્યદયમાં વિશિષ્ટ સ્થાન છે. પ્રભાસપાટણ સોમનાથ–પાટણ તરીકે જાણીતું છે. ‘મહાભારતમાં બે સ્થાનોનો ઉલ્લેખ જોવા મળે છે: દ્વ્રારકા અને પ્રભાસને ત્યાં પણ પ્રભાસને તીર્થક્ષેત્ર તરીકે વર્ણવ્યું છે. પાછળથી રચાયેલા ‘શાકુંતલ’ નાટકમાં પણ કવિ કાલિદાસે કણ્વઋષિને, શકુંતલાના ભાગ્યમાં રહેલા દુરિતને દૂર કરવા પ્રભાસ મોકલ્યા છે. અને ચંદ્રતીર્થ પણ કહેવાય છે, કારણ કે પુરાણો પ્રમાણે આ સ્થાનનું મહાત્મ્ય ચંદ્રે અહીં તપશ્ચર્યા કરીને શાપમોચન પ્રાપ્ત કર્યું ત્યારથી.

->  સોમનાથનું મંદિર તો ભારતની સાંસ્કૃતિક ચેતનના ખંડન અને તેની પુનઃજાગૃતિના સનાતન ઈતિહાસનું પ્રતીક છે. ક.મા.મુનશી તેમના ‘સોમનાથનાં મંદિર વિશેના પુસ્તકમાં જણાવે છે તેમ, આ મંદિર સાત વાર બંધાયું છે. પ્રથમ ચંદ્રે રજતનું. ત્યારબાદ રાવણે તેનું પુનઃનિર્માણ ચાંદીમાં અને  શ્રીકૃષ્ણે સુખડનુંને પછીના ઈતિહાસકાળમાં તે લાકડાનુંને પછી પથ્થરનું બંધાવ્યું જે તૂટતું–બંધાતું ગયું. આમાં મહંમદ ગઝનીએ કરેલા વિનાશની અને પછી અલાઉદ્દીન ખિલજીએ કરેલા સોમનાથધ્વંની કથાઓ જાણીતી છે.
->  ભીમદેવ સોલંકીએ બંધાવેલું મંદિર બાદમાં કુમારપાળે પણ બંધાવેલું અને તેના અનેક અવશેષો મળે છે. આ અવશેષો એકઠા કરી અત્યારે મુખ્ય મંદિર નજીકના એક જૂના સૂર્યમંદિરમાં મ્યુઝિયમ તરીકે મૂકવામાં આવ્યા છે.

->   જૂનાં વર્ણનો પ્રમાણે આ મંદિર વિરાટ પ્રાસાદ હતું. તેમાં સોનાની સાંકળે અસંખ્ય ઘંટ લટકતા, રત્નજડિત દીવીઓમાં સુગંધી દ્રવ્યોના દીવ બળતા–તેમાં સોને–રૂપે–રત્ને મઢાયાં સ્તંભો અને દ્વ્ર્રાર હતાં. પૌરાણિક સમયમાં આ મંદિર એટલું સમુદ્ધ હતું કે અહીં  ૩૦૦ સંગીતકારો અને ૫૦૦ નૃત્યાંગનાઓ વસતા અને યાત્રાળુઓની હજામત કરવા ૩૦૦ હજામો રહેતા. પ્રભાસ ખંડના પ્રકરણ સ્કંદ પુરાણમાં સોમનાથનું વર્ણન છે. માન્યતા અનુસાર, સોમનાથ ખાતે ભગવાન શિવ મૃત્યુંજ્ય, કાલગ્નિરુદ્ર, અમૃતેસ, અનામય, કૃતવસા અને ભૈરવનાથ તરીકે ઓળખાતા. આજે પુરાણા મંદિરનું માત્ર સ્થાન જોવા મળે છે. તેના પાયામાં એક પછી એક બંધાતાં ગયેલા મંદિરોના પુરાવા છે. ૧૯૫૧માં તેના બાંધકામના શેષભાગને ઉતારીને સંગ્રહાલયમાં રક્ષવામાં આવેલ છે. આ સોમનાથ એ ભારતમાં શૈવ સંપ્રદાયનાં અત્યંત પવિત્ર એવાં બાર જ્યોતિલિઁગોમાનું એક હોવાથી–ને તે પણ પ્રથમ ગણાતું હોવાથી શૈવ સંપ્રદાય માટે તેનું ધાર્મિક મહત્વ ઘણું જ છે.

->   છેક દરિયાકાંઠે આવેલા આ મંદિરનું સ્થાન ખૂબ જ રમણીય છે. સોમનાથનો ધ્વંસ કરવા બેગડો ચઢી આવ્યો ત્યારે સોમનાથની સખાતે આવેલા સૌરાષ્ટ્રના રાજવી વીરોના અગ્રણી હમીરજી ગોહિલે સોમનાથનું રક્ષણ કરતાં કરતાં સોમનાથના પ્રાંગણમાં જ વીરમૃત્યુ વહોર્યું હતું. તેમની ખાંભી તરીકે તેમનું નાનકડું દેવળ સોમનાથના પ્રાંગણમાં છે. કવિ ક્લાપીએ ‘હમીરજી ગોહિલ એ કાવ્યમાં હમીરજીની વીરગાથા સરસ રીતે ગાઈ છે. મંદિરના પ્રાંગણની સમુદ્ર તરફની પાળે બેસીને નીચે ઘૂઘવા તો સમુદ્ર તો જોવો ગમે જ, પણ તે સાથે એ પાળ પર એક દીપસ્તંભ બનાવ્યો છે તે પણ જોવા જેવો છે. આ પથ્થરના સ્તંભ પર દીવો કરવામાં આવે છે. સ્તંભની ટોચે આડા મૂકેલા શંખની આકૃતિ છે. શંખનું મુખ મંદિર તરફ અને અણી સમુદ્ર તરફ છે. તે શંખ એવી રીતે ગોઠવાયો છે કે તે અણીથી સીધી લીટી દોરીએ તો તે દક્ષિણ ધ્રુવ સમુદ્ર પર જ જાય–વચમાં ક્યાંય ભૂમિ ન આવે. સોમનાથના સ્થાનનું આ મહત્વ છે. મંદિરના ચોગાનની બહાર ગામ છે. ગામમાં બીજાં મંદિરો પણ છે. તેમાં જૂના સોમનાથનું મંદિર નોંધપાત્ર છે. સ્થાનિક લોકો કહે કહે છે કે જ્યારે અલાઉદ્દીન ખિલજી સોમનાથનો ધ્વંસ કરવા આવ્યો ત્યારે મૂળ શિવલિંગ માનીને તેનાં દર્શન કરેલાં. શ્રી ક.મા.મુનશીએ પોતાની નવલકથા ‘ભગ્ન પદુકામાંમાં શિવલિંગ ઉપાડવાનો પ્રયત્ન કરતા પૂજારીનો અછડતો ઉલ્લે કર્યો છે. ગામમાં ઉતારા માટે મોટી ધર્મશાળા છે. ગામના કોટની બહાર ઈતિહાસકાળનાં યુદ્ધોના અવશેષરૂપ કબ્રસ્તાન તથા યાદવાસ્થળીની જગ્યા સ્થાનિક લોકો પ્રવાસીઓને બતાવે છે. ગામમાં પુરાણા ઐતિહાસિક અવશેષો, મંદિરો, શિલાલેખ વગેરે તેમ જ કુમારપાળે બંધાવેલું જૈન મંદિર. જોવાલાયક છે.
 
->   ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતના આ પુરાણપ્રસિદ્ધ મહાતીર્થની ભવ્યતા તેમ જ તેના ઈતિહાસે અનેક કથાકારોને પ્રેર્યા છે. ગુજરાતીમાં ઠક્કર નારાયણ વસનજી, ઉપરાંત ક.મા.મુનશી, ધૂમકેતુ, ચૂનીલાલ મડિયા અને રઘુવીર ચૌધરી તથા હિન્દીમાં આચાર્ય ચતુરસેન શાસ્ત્રીએ ગઝનીના આક્રમણના પ્રસંગને અનુલક્ષીને લખેલી સુંદર નવલકથાઓ વાંચવા જેવી છે. અલાઉદ્દીનના આક્રમણ પ્રસંગને મધ્યકાલીન કથાકાવ્ય ‘કાન્હડદે પ્રબંધમાં નિરૂપવામાં આવ્યો છે.

->   સોમનાથ પાટણ કે પ્રભાસપાટણના લિંગની ઉત્પત્તિ પૃથ્વીની ઉત્પત્તિ સાથે થઈ છે તેમ માનવામાં આવે છે. ઉપર જોયું તેમ આ મંદિર તોડી પાડવા માટેના જેટલા પ્રયત્નો થયા છે તે દરેક વાર તેનો જિર્ણોદ્ધાર કરી પુર્નરચના કરાયેલ છે એ સોમનાથનો મહિમા છે. વર્તમાન મંદિર આઝાદી પછી કહેવાય છે કે સરદાર પટેલની રાહબરી હેઠળ બંધાયેલ છે. હાલ મંદિરનું અગિયારમી વખત પુનઃનિર્માણ થયેલ છે એવી પ્રચલિત માન્યતા છે. ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનું “કૈલાસ મહામેરુ પ્રસાદ મંદિર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદ્દ્ભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધ્રુવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.

->   સોમનાથથી સાગરતટે ચાલતાં હિરણ નદીને સમુદ્રનો સંગમ આવે છે જે પવિત્ર ત્રિવેણીતીર્થ ગણાય છે. આ પણ પુરાણું શક્તિપીઠ તથા શ્રી શંકરાચાર્યનો મઠ પણ છે ને તેનાથી આગળ ચાલતાં દેહોત્સર્ગતીર્થ આવે છે. પ્રત્યેક ભારતીય માટે આ મહત્વનું સ્થાન ગણાય, કારણ કે આ એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણે દેહત્યાગ કરેલોને તેમના દેહને અગ્નિસમર્પિત કરવામાં આવેલો. શ્રીકૃષ્ણના જીવન સાથે સંકળાયેલાં ગોકુળ–વૃંદાવન–મથુરા-દ્વ્રારકા–કુરુક્ષેત્રનું જે મહત્વ છે તેટલું જ આ સ્થાનનું પણ ગણાય. અહીં કાંઠા પર સરસ મંદિરો છે અને શ્રી મુનશી વગેરેના પ્રયાસોથી સોમનાથથી અંહી સુધી સુંદર માર્ગ બનાવીને તેમ જ અહીં સ્મારક વગેરે રચીને આ સ્થળના વાતાવરણને અનુરૂપ ઉઠાવ આપવામાં આવ્યો છે. આ શાંત રમણીય સ્થળ હ્યદયમાં અપૂર્વ સંવેદનો જન્માવે છે....      


  


📘 Internship Project Report કેવી રીતે લખશો અને ટાઈપિંગ કરશો – સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન

ઇન્ટર્નશિપ પ્રોજેક્ટ રિપોર્ટ કેવી રીતે લખવો – સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન 🎓 કૉલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે – ઇન્ટર્નશિપ પ્રોજે...