!! પવિત્ર યાત્રાધામ ચોટીલ !!
ચામુંડા
માતાજીના ડુંગરનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ
‘થાનપુરાણ’ નામના
પુસ્તકમાં જોવા મળે છે. વર્ષો પહેલાં ડુંગર ઉપર ચામુંડા માતાજીની રાતદિન – ભક્તિ
પૂજા કરતાં મહંત ગોસાઈ પરિવારના વડવા સ્વ ધનબાઈ માતા એક વખત વહેલી પરોઢે ડુંગર ઉપર
ચામુંડા માતાજીની ભક્તિમાં લીન હતાં ત્યારે અચાનક જ એક ઋષિમુનિ જેવા દેખાતા
સાધુપુરુષે ધનબાઈ માતાને ‘અહીં એક મોટો કુંડ હતો તેનું શું થયું’ તેમ
પૂછીને આ સાધુપુરુષ અદ્રશ્ય થઈ ગયા હતા.
-> ચોટીલા સૌરાષ્ટ્રનું મુખ્ય પ્રવેશદ્વ્રાર ગણાય
છે. પાંચાળ પ્રદેશના રાજવીની પુત્રી પંચાળી એટલે કે દ્વૌપદીનું પિયર મનાતા
‘પાંચાળ’ વિસ્તારનો મુખ્ય પ્રદેશ ચોટીલા છે. રાષ્ટ્રપિતા મહત્મા ગાંધીએ જેમને
રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલ તે વિખ્યાત કવિ ઝવેરચંદ મેઘાણીનો જન્મ પણ ચોટીલામાં
જ થયો હતો. તેવી જ રીતે લાખો ભાવિકો માટે શ્રદ્ધાના પ્રતીક સમાન ચોટીલાના ડુંગર પર
માતા ચામુંડાહાજરા હજૂર બિરાજમાન છે. પાંચાળ વિસ્તારના ચોટીલા પંથકની ભૂમિનો
સોનેરી અને ભવ્ય ઈતિહાસ પંથકની પ્રજાના વાણી વિચાર,
મહેમાનગતિ,
નીતિરીતિ, દિલેરી, બહાદુરી, સંત, સતી
અને શૂરા તથા ભક્તોની ભવ્ય રૂડી ગાથા સાથે આ ભૂમિના કાંકરે કાંકરે કંડારાયેલા છે.
-> આવા આ રૂડા પાંચાળ પંથકના ચોટીલામાં પ્રજાના
છત્ર સમાન ચોટીલાના ડુંગર પર ચામુંડા માતાજીના સ્થાનકે દેશ – વિદેશથી લાખો ભક્તો
પૂર્ણ શ્રદ્ધા સાથે માડી સમક્ષ શિશ ઝુકાવવા આવે છે. ડુંગર પર ચામુંડા માતાજીની
સેવા -પૂજા ૧૪૦ વર્ષથી ગોસાઈના પરિવારના સભ્યો કરી રહ્યા છે. વર્ષથી ત્રણ મુખ્ય
નવરાત્રિ મહા, ચૈત્ર
તથા આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઈવે પર જાણે કે ધાર્મિક
મિની કુંભમેળો ભરાયો હોય તેવાં રૂડાં ધાર્મિકસભર દ્રશ્યો જોવા મળે છે. ખાસ કરીને
આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધો પણ હ્યદયમાં માતા
પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચઢી જાય છે. જ્યારે અસંખ્ય ભક્તો
આળોટતાં આળોટતાં કે દંડવત પ્રણામ કરતાં ડુંગરના ૬૨૫ પગથિયાં સડસડાટ ચઢી જાય તે
દ્ર્શ્ય જોઈને ભલભલા નાસ્તિક માનવીનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે.
-> ડુંગર તળેટીમાં પગથિયાં પાસે ચામુંડા ડુંગર
ટ્રસ્ટના ભોજનાલયમાં દરરોજ બપોરે ભક્તોને લાપસી – દાળભાત – શાકનો પ્રસાદ
પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે. જયારે લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગૃઋષિનો આશ્રમ
હતો. પ્રાચીન સમયમાં ચોટીલા ચોટગઢ કહેવાતું હતું. તે મૂળ સોઢા – પરમારના શાસન હેઠળ
હતું પરંતુ જગસીયો પરમારના શાસન સમયે તે ખાચર કાઠીઓના હાથમાં આવ્યું અને તે તેમનું
એક મુખ્ય મથક બન્યું. મોટાભાગના ખાચર કાઠીઓનું મૂળ કુટુંબ ચોટીલામાંથી છે. ઈ.સ.
૧૫૬૬ના વર્ષમાં એજન્સી થાણાનું મુખ્ય મથક હતું. ચોટીલાના પવિત્ર પુરુષ મનાતા કાઠી
દરબાર સ્વ સોમલાબાપુ ખાચર પણ ચામુંડા માતાજીના અનન્ય ભક્ત હતા. સોમલાબાપુ ખાચર
ઘોડા પર બેસીને બહારગામ જાય ત્યારે તેમની સાથે રાખેલા ભાલા પર માતા ચામુંડા
ચકલીનું સ્વરૂપ ધારણ કરીને તેમની રક્ષા કરવા બેસતાં હતાં.
-> ચોટીલા ડુંગર પર ચામુંડા માતાજીનું પ્રખ્યાત
મંદિર આવેલું છે. થોડા સમય પહેલા રાજ્ય સરકાર દ્વ્રારા અહીં ભક્તિવનનું નિર્માણ
કરાયું છે. અહીં પૂનમના દિવસે મોટા પ્રમાણમાં યાત્રાળુઓ દૂરદૂરથી પગે ચાલીને આવે
છે. આ સ્થળ હાઈવે પર હોવાથી યાત્રાળુઓ માટે આવક જાવક માટે ખુબ જ સહેલું પડે
છે.
No comments:
Post a Comment